Bhagavad Gita: Chapter 5, Verse 17

તદ્બુદ્ધયસ્તદાત્માનસ્તન્નિષ્ઠાસ્તત્પરાયણાઃ ।
ગચ્છન્ત્યપુનરાવૃત્તિં જ્ઞાનનિર્ધૂતકલ્મષાઃ ॥૧૭॥

તત્-બુદ્ધય:—ભગવદ્-પરાયણ બુદ્ધિવાળા; તત્-આત્માન:—જેમનું હૃદય (મન ને બુદ્ધિ) સંપૂર્ણ રીતે ભગવદ્ મય હોય છે તેઓ; તત્-નિષ્ઠા:—જેમની શ્રદ્ધા ભગવાનમાં દૃઢ થયેલી હોય છે; તત્-પરાયણા:—જેઓ ભગવાનને પરમ લક્ષ્ય અને કેવળ આશ્રય તરીકે પામવા પ્રયાસ કરે છે; ગચ્છન્તિ—જાય છે; અપુન:-આવૃત્તિમ્—પાછો ફરતો નથી; જ્ઞાન—જ્ઞાન દ્વારા; નિર્ધૂત—નિવારણ થવું; કલ્મષા:—દોષ.

Translation

BG 5.17: તેઓ જેમની બુદ્ધિ ભગવાનમાં દૃઢ થયેલી છે, જેઓ ભગવાનમાં પૂર્ણતયા તલ્લીન રહે છે, જેઓ સંપૂર્ણ રીતે ભગવાનમાં દૃઢ શ્રદ્ધા રાખીને તેમને પરમ લક્ષ્ય માનીને ભગવદ્-મય થઈ જાય છે, તેવા મનુષ્યો શીઘ્રતાથી એ અવસ્થાએ પહોંચી જાય છે કે જ્યાંથી પુન: પાછા ફરવું પડતું નથી. તેમનું અજ્ઞાન જ્ઞાનના પ્રકાશથી નષ્ટ થઈ જાય છે.

Commentary

જે પ્રમાણે અજ્ઞાન સંસારમાં કષ્ટનું કારણ છે અથવા તો જન્મ અને મરણના નિરંતર ચક્રનું કારણ છે, તે જ પ્રમાણે જ્ઞાનમાં એ શક્તિ રહેલી છે કે તે મનુષ્યને માયાના બંધનમાંથી મુક્ત કરી શકે. આવું જ્ઞાન સદૈવ ભગવદ્-ભક્તિથી યુક્ત હોય છે. આ શ્લોકમાં સંપૂર્ણ ભગવદ્-ચેતના માટે અર્થસૂચક શબ્દોનો ભારપૂર્વક ઉપયોગ થયો છે.

તદ્દબુદ્ધય: અર્થાત્ બુદ્ધિ ભગવદ્ પરાયણ છે.

તદ્દઆત્માન: અર્થાત્ અંત:કરણ (મન અને બુદ્ધિ) સંપૂર્ણપણે ભગવદ્-મય છે.

તન્નિષ્ઠા: અર્થાત્ બુદ્ધિને ભગવાનમાં દૃઢ શ્રદ્ધા છે.

તત્-પરાયણ: અર્થાત્ ભગવાનને પરમ લક્ષ્ય અને એકમાત્ર આશ્રય માનીને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવો.

આમ, વાસ્તવિક જ્ઞાનની એ નિશાની છે કે તે ભગવાન તરફ દોરી જાય છે. આવા પ્રેમથી પરિપ્લાવિત થઈને ભક્ત સર્વત્ર ભગવાનનું દર્શન કરે છે.

Swami Mukundananda

5. કર્મ સંન્યાસ યોગ

Subscribe by email

Thanks for subscribing to “Bhagavad Gita - Verse of the Day”!